નવસારી તાલુકાનાં નસીલપોર અને વીરવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારી લોકોને ભયભીત કરનાર કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ, નસીલપોર અને વીરવાડી વિસ્તારમાં દીપડાની દહેશતને પગલે સ્થાનિકો રાત્રિના સમયે ખેતરોમાં કે વાડીઓમાં જતા ડર અનુભવતા હતાં. જોકે પશુધનના શિકાર અને દીપડાના નિશાન જોવા મળતા ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને જાણ કરવામાં આવી હતી.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં સ્થાનિકોની માંગણીને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે નસીલપોર વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું. જેથી રવિવારની મધ્યરાત્રીએ ભૂખ્યો દીપડો મારણની લાલચે અંદર પ્રવેશતા જ તે પાંજરે પુરાઈ ગયો હતો. વહેલી સવારે પાંજરામાં દીપડાને જોઈને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાંજરે પુરાયેલો દીપડો અંદાજે ૫ વર્ષની વયનો અને કદાવર છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે વન વિસ્તારમાં લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.(file photo)

