વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં પાલી કરમબેલી ગામમાં બનેલ ઘટનાથી પંથકમાં ચકચાર થઈ જવા પામી હતી. આ ઘટના પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલ ગૃહકલેશના કારણે એક પરિણીતાએ પોતાના ત્રણ માસૂમ બાળકોની કથિત રીતે હત્યા કરી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગટરોજ રાત્રે બનેલ આ ઘટનામાં જે ત્રણ માસૂમ બાળકોનાં કરુણ મોત થયા હતા, તેમાં માત્ર 9 મહિનાના જુડવા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, માતા નિશાબેન સંજયભાઈ હળપતિ (ઉ.વ.22)એ પોતાના આ ત્રણેય સંતાનોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ માતાની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સ્થાનિક સૂત્રો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકોના પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ (ઉ.વ.25) વહાણમાં નોકરી કરે છે અને થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા. જોકે ગટરોજ સાંજે કોઈ અગમ્ય કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના આઘાતમાં અને ગુસ્સામાં આવીને માતાએ રાત્રિના સમયે આ લોહિયાળ પગલું ભર્યું હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે.

