સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં પરબ ખાતે ત્રીજા માળેથી નીચે પટકાતા સુરત પુણા ગામના યુવાન કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના જેસરગામના વતની અને હાલમાં સુરત શહેરનાં પુણાગામ વિસ્તારમાં આવેલી સીતાનગર નજીક શ્રીનાથજી દ્વાર સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય હિતેશભાઈ મોહનભાઈ પોરીયા કડીયાકામની મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તારીખ ૨૩મી મેના રોજ હિતેશભાઈ કામરેજના પરબગામ ખાતે આવેલી ગોપીન ઇન્ડસ્ટ્રીયલ ટેક્ષ્ટાઇલ્સના વિભાગ-૨૧માં પ્લોટ નંબર ૫૭૦ ખાતે બની રહેલા નવા બાંધકામમાં મજૂરી કામે ગયા હતા. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ નવા બની રહેલા ખાતાના ત્રીજા માળે લાકડાની સીડી પર ઊભા રહીને બારી ઉપર ટાઇ લ્સ લગાવવાનું કામ કરી રહ્યા હતા.
આ કામગીરી દરમિયાન અચાનક લાકડાની સીડી નીચેથી સરકી જતાં હિતેશભાઈએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ સીધા જ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. હિતેશભાઈને માથાના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી અને તેમના નાક તેમજ કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જોકે ઈજાગ્રસ્ત હિતેશભાઈને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ચલથાણ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

