સુરત જિલ્લાનાં ઓલપાડનાં બરબોધન ગામે થયેલ ઝઘડામાં નજીવી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થવાની ઘટના સામે આવી હતી. આ મામલે ફરિયાદી પક્ષે ચાર આરોપી વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી મળતી માહિતી મુજબ, બરબોધન ગામનાં વતની નિરંજન રમેશભાઈ પટેલ (હાલ રહે.સુમન શાંતિ આવાસ, મોરાભાગળ, સુરત)માં રહી જી.ઈ.બી.માં ડ્રાઈવરની નોકરી કરે છે. તેમની સાળી રાગિણીએ બરબોધન ગામે નવા હળપતિવાસમાં રહેતા કલરવ પ્રવિણભાઈ મોદી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી કલરવ મોદી સબંધમાં નિરંજન પટેલનો સાઢુભાઈ થાય છે. જોકે ગત તારીખ ૨૨નાં રોજ રાત્રે ૧૦ વાગ્યે તેનો સાઢુભાઈ કલરવ તેના ઘરની આગળનાં રસ્તા ઉપર તેની સાળી રાગિણી સાથે ઝઘડો કરી રહ્યો હતો.
જેથી ત્યાં હાજર નિરંજન પટેલે વચ્ચે પડતા તેના સાઢુભાઈ કલરવે તેને ગાળો બોલી લડાઈ-ઝઘડો શરૂ કર્યો હતો. તે દરમ્યાન ત્યાં રહેતો કલરવના પરિવારનો કલ્પેશ ગમનભાઈ મોદી દોડી આવ્યો હતો અને નિરંજન પટેલને પાછળથી માથાનાં ભાગે લાકડાંનાં બે સપાટા મારતા તેને ઈજા થઈ હતી. આ બબાલ દરમ્યાન ત્યાં દોડી આવેલ દર્શન અનિલ મોદી અને પ્રવિણ ભગવતી મોદીએ પણ નિરંજન પટેલ સાથે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચારે આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. મારામારી અંગે ચારેય સામે નિરંજન પટેલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

