સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થયાની ફરીયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંગરોળના પાલોદ ખાતે ચિત્રકૂટ રો-હાઉસના મકાન નં-02માં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના મહોલી ગામના 45 વર્ષીય મુકેશભાઈ જગદીશભાઈ રાય વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ મુકેશભાઈ પોતાના મકાનને તાળું મારી પરિવાર સાથે બહાર ગયા હતા.
જેઓ ઘરે પરત ફરતા ઘરની લોખંડની જાળીનું તાળું અને લાકડાનો દરવાજો તુટેલી હાલતમાં મળ્યો હતો અને ઘરનો સામાન પણ વેર-વિખેર અને તેમના લાકડાના કબાટનું લોક તૂટેલી હાલતમાં જણાઈ આવ્યું હતું. તેથી મકાનની હાલત જોત ચોરી થયાનું સમજાયું હતુ. તસ્કરોએ ઘરમાં મુકેલ કબાટનું લોક તોડી કબાટમાં મુકેલ 1.23 લાખના સોના-ચાંદીના દાગીના અને 45 હજાર રોકડા મળી કુલ રૂપિયા 1.68 લાખની ચોરી કરી હતી. ચોરી અંગે મુકેશભાઈએ પાલોદ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

