કહેવાય છે કે સંવાદ સાધવાથી ગમે તેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે. આવો જ એક કિસ્સો બારડોલી વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે કુશળ કાઉન્સેલિંગ દ્વારા બે વર્ષથી પિયરમાં રહેતી મહિલાનું સાસરીમાં સુખદ પુનઃસ્થાપન કરાવ્યું છે.
મહિલા હેલ્પલાઇનની ટીમ પાસેથી મળતી વિગતો અનુસાર બારડોલી વિસ્તારની એક પીડિતા છેલ્લા બે વર્ષથી પોતાના બે બાળકો સાથે પિયરમાં રહેવા મજબૂર હતી. સાસરી પક્ષમાં પતિ, સાસુ અને સસરા દ્વારા થતા સતત માનસિક ત્રાસ અને નાની-નાની બાબતોમાં દોષારોપણ કરવાને કારણે વિવાદ સર્જાયો હતો. આ બે વર્ષ દરમિયાન પતિ તરફથી પત્નીને પરત લાવવાના કોઈ પ્રયાસો થયા નહોતા.તાજેતરમાં જ્યારે મહિલા પોતાના બાળકો સાથે સાસરીમાં પરત ફરી, ત્યારે સાસરી પક્ષે તેમને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાએ અંતે 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી.
કોલ મળતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. પીડિતાની આપવીતી સાંભળ્યા બાદ ટીમે તેના પતિ (જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે) અને સાસુ-સસરા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.ટીમે સાસરી પક્ષને મહિલાઓના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતગાર કરી,બાળકોના ભવિષ્ય અને પરિવારની એકતા માટે નૈતિક જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું.બંને પક્ષો વચ્ચેની ગેરસમજ દૂર કરી પરિવારમાં ફરી વિશ્વાસ બેસાડવા પ્રયત્ન કર્યો હતો. અભયમ ટીમના સઘન પ્રયાસોને અંતે સાસરી પક્ષને પોતાની ભૂલ સમજાઈ હતી. પતિ અને સાસુ-સસરાએ પીડિતા અને બંને બાળકોને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ, ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ આપ્યા વગર તમામ જવાબદારીઓ નિભાવવાની ખાતરી (બાંહેધરી) આપી હતી.બે વર્ષથી વિખૂટા પડેલા પરિવારને ફરી એક તાંતણે બાંધવા બદલ પીડિતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સફળ મધ્યસ્થીથી પરિવારમાં ફરી એકવાર સુખ અને શાંતિનો માહોલ સર્જાયો છે.

