વ્યારા તાલુકાના બાલપુર ગામમાં એક નિવૃત્ત પોલીસકર્મીના બંધ ઘરમાંથી થયેલી લાખોની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. આ ચોરી કરનાર કોઈ બહારની વ્યક્તિ નહીં, પરંતુ ફરિયાદીના પાડોશમાં રહેતા તેમના સગા ભાઈની દીકરી અને જમાઈ જ હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
પાડોશમાં રહેતા દંપતીએ તિજોરી તોડી દાગીના ચોર્યા બાદ તેના પર ગોલ્ડ લોન પણ લીધી હોવાની કબૂલાત: પોલીસે 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો
મળતી માહિતી પ્રમાણે બાલપુર ગામના નિશાળ ફળીયામાં રહેતા નિવૃત્ત પોલીસકર્મી લીમજીભાઈ રડતીયાભાઈ ગામીતના ઘરમાંથી ગત તારીખ 8-4-26 ના રોજ અજાણ્યા તસ્કરોએ તિજોરીના લોકર તોડીને ચોરી કરી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી. તસ્કરો ઘરમાંથી સોનાનું મંગળસુત્ર, સોનાના પાટલા, સોનાની ચેન અને તેમની દીકરીનું મંગળસુત્ર મળી કુલ રૂ.12,50,000 ના દાગીનાની ચોરી કરી ગયા હતા.
આ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવા સેકન્ડ પો.ઈ. જે.એન. જોષીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ બબાભાઈ અને પ્રકાશભાઈ અરવિંદભાઈને બાતમી મળી હતી કે, આ ચોરીમાં ફરિયાદીના ઘરની બાજુમાં જ રહેતી ભાઈની દીકરી દિવ્યાબેન અને જમાઈ અનિલભાઈ સંડોવાયેલા છે. પોલીસે દિવ્યાબેન અનિલભાઈ ગામીત અને અનિલભાઈ પ્રવિણભાઈ ગામીત (રહે.બાલપુર, મૂળ રહે. તાડકુવા) ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2 લાખની સોનાની ચેન, રૂ. 1.50 લાખનું મંગળસુત્ર અને રૂ. 20,000 ના બે મોબાઈલ (કુલ રૂ.3,70,000) નો મુદ્દામાલ રિકવર કર્યો છે,આરોપીઓએ કબૂલાત કરી હતી કે બાકીના ઘરેણાં પર તેમણે ગોલ્ડ લોન લીધી હતી. પોલીસે તેમાંથી રૂ. 4 લાખનું મંગળસુત્ર અને રૂ. 5 લાખના બે સોનાના પાટલા જપ્ત કર્યા છે. વ્યારા પોલીસે કુલ રૂ. 12,50,000 નો 100 ટકા મુદ્દામાલ રિકવર કરી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

