હાલ ગુજરાતમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે અને આ સમય દરમિયાન લોકો ઘરમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આ ગીઝર મોતનું કારણ પણ બની શકે છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરમાં બની છે. જ્યાં બાથરૂમમાં મુકેલા ગીઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી એક કિશોરીનું મૃત્યુ નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાનાં પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે આ દુખદ ઘટના ઘટી હતી. જ્યાં 13 વર્ષીય કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. આ કિશોરી સવારે ન્હાવા માટે બાથરૂમમાં ગઇ હતી, ત્યારે 15 મિનિટ સુધી કોઇ અવાજ આવ્યો નહોતો અને તે બહાર નહોતી આવી. આથી કિશોરીની માતાએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કિશોરીએ દરવાજો ખોલ્યો ન હતો. આથી પરિવાર ચિંતિત થઈ ગયો હતો. ચિંતિત થઈને પરિવારજનોએ બાથરૂમની કાચવાળી જાળીમાંથી જોયું તો કિશોરી બેભાન થઈને પડી હતી. કિશોરીને બાથરૂમમાં બેભાન પડેલી જોઈને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવી હતી. જો કે હોસ્પિટલે ફરજ પરનાં તબીબોએ કિશોરીને તેને મૃત જાહેર કરી હતી. દીકરીનાં મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

