Gujaratના સાણંદમાં એક વેપારીની હત્યા અને તેને લૂંટવાની કોશિશનું કાવતરું રચવા બદલ અમદાવાદના વેજલપુરમાંથી 42 વર્ષીય તાંત્રિક અને યૂટ્યુબરની ધરપકડ કરી હતી.ધરપકડ બાદ પૂછપરછમાં તે સીરિયલ કિલર હોવાનું સામે આવ્યું હતું. તેણે 2023માં સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના ત્રણ લોકો અને 2021માં અમદાવાદની એક વ્યક્તિની હત્યા કરી હતી. પૂછપરછ દરમિયાન આ હત્યાઓ પૈસા મેળવવા કરી હોવાનો ખુલાસો થયો હતો.
આરોપી પીડિતોને અનુષ્ઠાન માટે પૈસા લાવવાનું કહેતો હતો. તે કથિત રીતે આ પૈસાને ચાર ગણા કરવાનો દાવો કરતો હતો અને આ રૂપિયા માટે જ તેમની હત્યા કરતો હતો.સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયા એને તેમના સ્ટાફે નવલસિંહ ચાવડા નામના ભુવાની ધરપકડ કરીને એક વ્યક્તિને હત્યાની અને નાણા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વેજલપુરમાં રહેતા નવલસિંહ ચાવડાએ નિકોલમાં ફેક્ટરી ધરાવતા વ્યક્તિને 15 લાખના બમણા નાણાં કરી આપવાનું કહીને નાણાં સાથે બોલાવીને તેની હત્યા કરવાનો હતો.
સરખેજ પોલીસે નવલસિંહની આકરી પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે 15 લાખની રકમ લીધા બાદ ફેક્ટરી માલિકની હત્યા કરીને લાશને વઢવાણમાં આવેલા તેના મઠની જમીનમાં દાટી દેવાનો હતો. આ ઉપરાંત, પોલીસને તેની સાથે કામ કરતા કાદરઅલી નામના વ્યક્તિ પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી. જે ફેક્ટરી માલિકના નામની હતી. જે અંગે પૂછપરછ કરતા તેણે વધુ એક ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તે ફેક્ટરી માલિકને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે ચિઠ્ઠી મુકીને જતો રહેવાનો પ્લાન પણ બનાવતો હતો. જેથી કોઇને શંકા ન ઉપજે. આમ, નવલસિંહની ચોંકાવનારી કબુલાતને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 2023માં ચાવડાએ એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી. જે બાદ તેમના મૃતદેહને દૂધરેજ નહેરમાં ફેંકી દીધા હતા. સુરેન્દ્રનગર પોલીસે 2024માં તેને સામૂહિક આત્મહત્યાનો મામલો ગણ્યો હતો. તેણે દીપેશ પાટડીયા, તેની પત્ની પારૂલ તથા પુત્રી ઉત્સવીની હત્યા કરી હતી. પાટડીયા પરિવાર પણ ચાવડાને ઓળખતો હતો. પરિવારે અંતિમ કૉલ આરોપીને કર્યો હતો. સુરેન્દ્રનગર પોલીસે ચાવડાની પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું. અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, બંને જૂના કેસને ફરીથી ખોલવામાં આવશે.

