ગુજરાતના વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે.જલારામ જયંતિ પર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખુબ ધૂમધામથી ઉજવણી છે.હિંદુ કેલેન્ડરમાં કારતક મહિનાના શુક્લ પક્ષની સાતમની તિથીએ મનાવવામાં આવે છે, આ પ્રસંગ શ્રી જલારામ બાપાના જીવન અને ઉપદેશોનું સન્માનમાં ઉજવાય છે, જેઓ તેમની નિઃસ્વાર્થ ભક્તિ અને જરૂરિયાતમંદો પ્રત્યેની કરુણા માટે જાણીતા સંત છે.
જલારામ બાપાની 225 જન્મ જયંતિ પ્રંસગે ભાવિકોની ભીડ ઉમટી પડી છે.જલારામ જયંતી જયંતિની ઉજવણી કરવા વીરપુરના વેપારીઓ તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે.જલારામ બાપાનો જન્મ 1799 માં ગુજરાતના રાજકોટના વીરપુર ગામમાં થયો હતો, તેમની માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું, જ્યારે તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું.જલારામ બાપા ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત હતા અને બાળપણથી જ તેમને સાંસારિક જીવન પ્રત્યે કોઈ લગાવ નહોતો.18 વર્ષની ઉંમરે તીર્થયાત્રાથી પાછા ફર્યા પછી, તેઓ ફતેહપુરના ભોજ ભગતના શિષ્ય બન્યા.અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાના કામનું સ્થળ હતું.
આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે. વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા ઝોલી અને દંડ પણ ડિસ્પ્લેમાં મૂકાયા છે.આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે.જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો.વર્ષ 2000થી આ મંદિરે ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધુ છે છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓને મફત પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી અને શાક તથા સાંજે ખીચડી-કઢી અને દેશી ઘી આપવામાં આવે છે.
જલારામ જયંતિ જલારામ બાપાના મૂલ્યો અને ઉપદેશોની ઉજવણી કરે છે, જેમણે પોતાનું જીવન કરુણા અને ઉદારતાના આદર્શો માટે સમર્પિત કર્યું હતું. તેમણે બતાવ્યું કે સાચી ભક્તિ નિઃસ્વાર્થ સેવામાં રહેલ છે. તેમના જીવનની વાર્તાઓએ કાયમી વારસો છોડી દીધો છે જે તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે.તેમના ઉપદેશો ભારપૂર્વક જણાવે છે કે અન્ય લોકોને મદદ કરવાથી ભગવાન આપણી નજીક આવે છે.આ સિદ્ધાંત જલારામ જયંતિની ઉજવણીમાં કેન્દ્રિય છે.

