Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

હડ્ડપન નગરીના વધુ વિકાસ માટેનો એક્શન પ્લાન આગામી પખવાડિયામાં રજૂ કરવા આદેશ !

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવાયેલા ૫ હજાર વર્ષથી જૂના પુરાતન સ્થળ ધોળાવીરાની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જરૂરી દરકાર લેવામાં આવતી ન હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ ગંભીર મામલાની નોંધ લઇ, પીએમઓએ ગત ૧૦મી ઓક્ટોબરના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક બાદ ભુજના છતરડીવાળા તળાવ પાસે લગભગ તાળું લગાવેલી સ્થિતિમાં જોવા મળતી પુરાતત્વ સબ સર્કલ કચેરીને એક અધિકારી સાથે ધોળાવીરા ખસેડવા અને રાજકોટ સ્થિત અધિક્ષક અને પુરાતત્વવિદને વધુ સમય આપવાની સાથે હડ્ડપન નગરીના વધુ વિકાસ માટેનો એક્શન પ્લાન આગામી પખવાડિયામાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાલમાં આ પ્રાચીન શહેરની જાળવણીની નબળી સ્થિતિ અને પ્રવાસી સુવિધાઓના અભાવનો મામલો પીએમઓના ધ્યાનમાં આવ્યા બાદ અહીં સાઇટ પ્રવૃત્તિઓને વેગ આપવા અને સંરક્ષણ માટે વિગતવાર કાર્ય યોજના બનાવવા અને ફરીથી ખોદકામ શરૂ કરવા માટે એએસઆઇના ડીજી સાથે પીએમઓના ડીએસએ બેઠક યોજી હતી જેમાં હાજર મહાનિર્દેશકને જાણ કરવામાં આવી હતી કે, ધોળાવીરામાં સ્થળ સંરક્ષણની સારી સ્થિતિ નથી તેમજ યોગ્ય વ્યવસ્થાપન, જાળવણી અને પ્રવાસી સુવિધાઓનો પણ સદંતર અભાવ છે.

અહીં સંશોધનની મોટી સંભાવના હોવા છતાં ધોળાવીરા ખાતે વર્ષોથી ખોદકાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવેલા ગંભીર મામલાઓને પગલે એએસઆઇ દ્વારા હવે રહી રહીને પણ મહત્વના પગલા લેવામાં આવ્યા છે.વધતા જતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને, સ્થળ પર ખોદકામ અને જાળવણીની ગતિવિધિઓને ઝડપી બનાવવાની જરૂર પડી શકે છે.

ધોળાવીરામાં અત્યાધુનિક મ્યુઝિયમ એટ સાઇટના સંભવિત નિર્માણ કાર્ય માટે એએસઆઇ રાજકોટ સર્કલના અધિક્ષક પુરાતત્વવિદને ભુજ સ્થિત સર્કલ ઓફિસને કન્ઝર્વેશન આર્કિટેક્ટ હેઠળ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ પરિસરમાં ખસેડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો અને આ ઉપરાંત રાજકોટ ઓફિસને આ વર્લ્ડ હેરિટેજ સાઈટની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વધુ સમય ફાળવે તેવી સૂચના આપવામાં આવી હતી.દરમ્યાન, કચ્છના ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળ બનવાની સાથે હવે સ્વદેશ દર્શન ૨.૦ યોજનામાં સામેલ કરવામાં આવ્યું છે,જેના ભાગરૂપે અહીં કરોડોના વિકાસ કામો થવા જઇ રહ્યા છે.સ્થળના વિકાસ અને હવે ઉત્ખનન માટે ખૂદ પીએમઓએ બેઠક બોલાવી છે. જેના પગલે ધોળાવીરા પર પ્રધાનમંત્રી કાર્યાલય વોચ રાખી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે હવે અહીં આગામી સમયમાં થનાર વિવિધ કામો ઝડપથી અને યોગ્ય થશે તેવી આશા વધુ પ્રબળ બની છે.

Advertisement
error: Content is protected !!