Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Saputara Megh Malhar Parva 2024 : રામ-શબરીના મિલન સ્થળ ‘શબરી ધામ’ ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ દેશ-વિદેશના પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે ૨૯ જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪નું આયોજન કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્વનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા માત્ર હિલ સ્ટેશન તરીકે જ પ્રખ્યાત નથી, પરંતુ સાપુતારાની આસપાસ આવેલ અનેક આસ્થાના સ્થળો પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આવું જ એક મહત્વનું આસ્થાનું સ્થળ છે શબરી ધામ.

સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ મોટાભાગે શબરી ધામની ચોક્કસ મુલાકાત લે છે, કારણ કે આ સ્થળનો ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે. સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ અંગે સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવેલ છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન સીતાની શોધમાં અહીં આવ્યા હતાં, જ્યાં તેમના પરમ ભક્ત માતા શબરી પોતાના પ્રભુ શ્રી રામની વાટ જોઈ રહ્યા હતાં. અહીં જ ભગવાન શ્રી રામે માતા શબરીના એંઠા બોર આરોગ્યા હતા અને તેમણે જ ભગવાન શ્રી રામને સીતાની શોધ માટે આગળનો માર્ગ જણાવ્યો હતો.

અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી રામ-શબરી મિલનના પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)ના માધ્યમથી શબરી ધામ ખાતે અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • પ્રથમ તબક્કામાં ભવ્ય ‘યાત્રી નિવાસ’નું નિર્માણ : શબરી ધામ ખાતે મોટી સંખ્યામાં ઉમટતા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓની સુવિધા માટે ડિસેમ્બર ૨૦૧૮થી અનેક પ્રકારના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. અહીં અંદાજે રૂ.૧૦ કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

જીપીવાયવીબીના સચિવ શ્રી આર.આર.રાવલના જણાવ્યા મુજબ શબરી ધામ વિકાસ પ્રોજેક્ટની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં લગભગ રૂ.૪.૮૯ કરોડના ખર્ચે અહીં ભવ્ય ‘યાત્રી નિવાસ’ તથા એડમિન બ્લૉકનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રી નિવાસમાં પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે ભોજન શાળા, ડાઇનિંગ, સ્ટોર રૂમ, વૉશ એરીયા, શૌચાલય, ૫ એકઝીકયુટીવ રૂમ, ૩ સ્પેશિયલ રૂમ, વેઇટિંગ એરિયા, ૧૧ બેડ ધરાવતી પુરૂષ ડોરમેટરી અને ૧૧ બેડ ધરાવતી સ્ત્રી ડોરમેટરી, ૨ લિવિંગ રૂમ અને કિચન એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેવી જ રીતે; એડમિન બ્લૉકમાં હૉલ, ડાઇનિંગ વિથ કિચન, ૨ બેઠક રૂમ, ૨ બેડરૂમ, કિચન એરિયા, સંત નિવાસ, શૌચાલય અને પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે.

  • બીજા તબક્કાની કામગીરી શરૂ, ૧૬ જેટલી સુવિધાઓનો થશે વિકાસ : રાજ્ય સરકાર તથા જીપીવાયવીબી દ્વારા શબરી ધામ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોના બીજા તબક્કામાં રૂ. ૫.૭૪ કરોડના ખર્ચે પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ યાત્રીઓ માટે સુવિધાઓમાં મોટો વધારો કરવામાં આવશે. બીજા તબક્કામાં શબરી ધામ ખાતે ૧૬ જેટલી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેમાં નવું પાર્કિંગ, હનુમાનજી મંદિરનું રીનોવેશન, પેવર બ્લોક, રીટેનિંગ વૉલ, સભા મંડપ શેડ, નવા પાર્કિંગ પર શૌચાલય, કેન્ટીન, રેમ્પની કામગીરી, પાણીની ટાંકી, હયાત શૌચાલયનું રિનોવેશન, ગાર્ડનીંગ એન્ડ લેન્ડ સ્કૅપિંગ, પગથિયાનું રીનોવેશન અને કલર કામ, સાઈનેઝીસ, સોલાર લાઈટ પોલ, સોલાર સીસ્ટમ તથા ઇલેક્ટ્રિફિકેશનનો સમાવેશ થાય છે.
Advertisement
error: Content is protected !!