સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. પુણા વિસ્તારમાં યુવક સવારે કસરત કરીને ઘરે આવ્યા બાદ બેભાન થઈ ગયા બાદ મોત થયું હતું. એ.કે. રોડ પર આવેલી એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકનું બેભાન થતા મોત થયું હતું.મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની અને હાલ પુણા અર્ચના સ્કૂલની બાજુમાં આવેલી સીતારામ સોસાયટી વિભાગ-૧માં રહેતા ૪૮ વર્ષીય ગોવિંદભાઈ મેઘાભાઈ કલસરિયા પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રીનું ભરણપોષણ કરતા હતા.
ગોવિંદભાઈ છેલ્લા દસેક દિવસથી એરોબિક્સમાં કસરત કરવા માટે જતા હતા. ગુરુવારે વહેલી સવારે ગોવિંદભાઈ નિત્યક્રમ મુજબ કસરત કરવા ગયા હતા. ત્યારબાદ કસરત કરીને ઘરે આવ્યા બાદ તેઓ એકાએક બેભાન થઈ ઢળી પડ્યા હતા.જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ગોવિંદભાઈનું હાર્ટએટેકથી મોત થયું હોવાની શક્યતા છે.
બીજા બનાવવામાં મૂળ ઉત્તરપ્રદેશ પ્રતાપગઢના વતની અને હાલ એ.કે. રોડ પર આવેલી એકતાનગર ઝૂંપડપટ્ટીમાં ૨૧ વર્ષીય સુધીર રાકેશ ગૌતમ રહેતો હતો અને એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બુધવારે રાત્રે સુધીર ઘરે એકાએક બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

