ગુજરાતમાં ડુપ્લિકેટ દવાઓના વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં દરોડા પાડીને ડુપ્લિકેટ દવાઓ વેચનારા ઇસમોના ઘર અને મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતની ડુપ્લિકેટ દવાઓ જપ્ત કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ગુપ્ત બાતમી મળી હતી કે રાજ્યના વિવિધ શહેરોમાં નકલી દવાઓનું મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે. આ બાતમીના આધારે, તંત્ર દ્વારા એક સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરામાં ડુપ્લિકેટ દવાઓ વેચનારાઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે સુરત અને રાજકોટમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરોડામાં મોટી માત્રામાં ડુપ્લિકેટ દવાઓ મળી આવી હતી, જેનો અંદાજિત જથ્થો 17 લાખ રૂપિયાનો હોવાનું જાણવા મળ્યું છે. આ દવાઓ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઇ શકે છે. કારણ કે, તેમાં સક્રિય ઘટકો ન હોવા અથવા ખોટા પ્રમાણમાં હોવાથી તેની કોઈ અસર થતી નથી અને દર્દીના જીવ જોખમ પણ થઇ શકેક છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

