કુકરમુંડા તાલુકાના પાણીબારા ગામે એક રહેણાંક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે રૂ.45 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
મળતી વિગતો અનુસાર ફરિયાદી કરણસિંગ જાન્યાભાઇ વળવી (ઉ.વ.51),જેઓ વ્યવસાયે ખેત મજૂર છે અને હાલ સુરત ખાતે રહે છે,તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટના ગત તારીખ 25/03/2026 ના રોજ બની હતી. કરણસિંગભાઈના માતા-પિતા પાણીબારા ગામે ખુલ્લા દરવાજાવાળા કાચા મકાનમાં રહે છે.તારીખ 25મીના રોજ સવારે તેમના ભાણેજે ફોન દ્વારા જાણ કરી હતી કે, ઘરમાં પતરાના શોકેસમાં રાખેલા ચાંદીના દાગીના ગાયબ છે.કરણસિંગભાઈએ વતન આવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ત્રણ ચાંદીની બંગડીઓ જેની અંદાજિત કિંમત રૂ.37 હજાર,એક ચાંદીનું કડું જેની અંદાજિત કિંમત રૂ.7,500/- મળી કુલ રૂ.45 હજારની મત્તાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે ફરિયાદીએ 31 માર્ચના રોજ કુકરમુંડા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

