સુરતના ઓલપાડ પોલીસ મથકની હદમાં આવતા દેલાડ ગામની સીમમાં ગત રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહન ચાલકે રોડ પર ચાલતા જઈ રહેલા આશરે 50 થી 55 વર્ષના અજાણ્યા આધેડને અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેલાડ ગામના રહેવાસી અને ખેતીકામ કરતા હેમલભાઈ નારણભાઈ રાઠોડ (ઉ.વ.46) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 04/03/2026 ના રોજ રાત્રે આશરે 10:00 વાગ્યાના અરસામાં દેલાડથી અમરોલી જતા રોડ પર સેલવાસ એન્જીનીયરીંગ કંપનીની સામે આ અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી રોડ પર ચાલતા જઈ રહેલા અજાણ્યા પુરુષને પાછળથી ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે આધેડને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ આજે તારીખ 05/03/2026 ના રોજ વહેલી સવારે 02:30 કલાકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઓલપાડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

