નવસારીમાં દરિયાઈ સુરક્ષા અને ફિશરીઝના નિયમોના ચુસ્ત અમલીકરણ વચ્ચે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માછીમારી બોટ સામે લાલ આંખ કરવામાં આવી છે. ઓનલાઇન ટોકન લીધા વગર ખલાસીઓને દરિયામાં લઈ જવા બદલ બોટના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સવારે ધોલાઈ બંદર લેન્ડિંગ પોઈન્ટ ખાતે ફિશરીઝ ગાર્ડ અને ધોલાઈ મરીન પોલીસ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન “MANEK PRASAD-1” (રજીસ્ટ્રેશન નં. IND-GJ-15-MM-4283) નામની બોટ દરિયામાંથી માછીમારી કરીને પરત આવી હતી. જ્યારે ફિશરીઝ વિભાગ દ્વારા બોટના ઓનલાઇન ટોકનની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે,બોટમાં કુલ ૦૯ માણસોનું રજીસ્ટ્રેશન હતું. પરંતુ, ૦૮ ખલાસીઓ ઓનલાઇન ટોકન લીધા વગર જ ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરવા ગયા હતા. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર ગણાય છે, કારણ કે દરિયામાં જતી દરેક વ્યક્તિની નોંધણી હોવી ફરજિયાત છે.આ મામલે ફિશરીઝ ગાર્ડ તુલશીદાસ શંકરભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોટના સંચાલક પ્રકાશભાઈ ભાણાભાઈ ટંડેલ (રહે. કકવાડી દાંતી, વલસાડ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

