બારડોલી તાલુકાના અસ્તાન ગામ પાસે એક કરૂણ અકસ્માત સર્જાયો છે, જેમાં પુરઝડપે જતી મોટરસાઈકલ આગળ ચાલતા બળદગાડા સાથે ભટકાતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના બીલગવાણ ગામના વતની અને હાલ અસ્તાન જીન પાસે રહેતા ઈન્દ્રસિંગ સંજીભાઈ વસાવે (ઉં.વ.૫૭) ગત તારીખ ૧૫/૦૨/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૦૭:૩૦ વાગ્યાના અરસામાં પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ (નંબર એમએચ/૩૯/એએમ/૩૧૬૨ લઈને અસ્તાન કન્યા વિદ્યાલય પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન તેમણે પોતાની બાઈક ગફલતભરી રીતે હંકારી આગળ જઈ રહેલા એક બળદગાડા પાછળ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઈન્દ્રસિંગભાઈને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમને પ્રથમ બારડોલીની સરદાર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તારીખ ૧૭/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૪૫ કલાકે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતકના પુત્ર ગણેશ ઈન્દ્રસિંગ વસાવેની ફરિયાદના આધારે બારડોલી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

