નિઝર તાલુકાના સરવાળા ગામની સીમમાં મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકની તેના જ સાથીદાર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માત્ર ૪૫૦ રૂપિયાના હિસાબની લેતીદેતીમાં થયેલી બોલાચાલી બાદ આરોપીએ શ્રમિકને ગુપ્ત ભાગે જોરથી લાત મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાંવ તાલુકાના ચાંદશૈલી ગામના શ્રમિકોનો એક સમૂહ સરવાળા ગામમાં મરચા તોડવાની મજૂરી માટે આવ્યો હતો. રવિવારે રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે જ્યારે ફરિયાદી મીશુબેન વસાવે અને તેમના પતિ દિનેશભાઈ વસાવે જમવા બેઠા હતા, ત્યારે મજૂરોનો હિસાબ રાખતા ભીમસીંગ રાજ્યાભાઇ વસાવે ત્યાં આવ્યા હતા.દિનેશભાઈએ તેમના ચાર દિવસના કામના બાકી નીકળતા ૪૫૦ રૂપિયાની માંગણી કરતા આરોપી ભીમસીંગ ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાટમાં આવીને આરોપીએ દિનેશભાઈના કમરના નીચેના ગુપ્ત ભાગે જોરથી લાત મારી દીધી હતી, જેના કારણે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તાત્કાલિક દિનેશભાઈને સારવાર માટે તળોદાની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ નિઝર પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી લાશને નિઝર સરકારી દવાખાને ખસેડી પીએમ ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે મૃતકની પત્ની મીશુબેન વસાવેએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ભીમસીંગ રાજ્યાભાઇ વસાવે વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.જોકે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.

