કુકરમુંડામાં વર્ષોથી કેટલાંક ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોય, જે અંગેના કિસ્સા બહાર આવતા જ વેપારીઓ વચ્ચે અંદરોઅંદર ઝઘડા શરૂ થયા છે, જેમાં સ્થાનિક વેપારીને મારી નાંખવા જેવી ધમકી પણ ખાનગી વેપારીઓ દ્વારા અપાતા ગામની સ્થિતિ અંગે તંત્રને વાકેફ કરતા ફુલવાડી ગૃપ ગ્રામપંચાયતના સરપંચ તથા આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
મળતી વિગતો પ્રમાણે કુકરમુંડા ખાતે ખાનગી વેપારી દ્વારા આદિવાસી સમાજના ખેડુતોના પાકના તોલમાં ગડબડ કરી છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો, બાલંબા ગામના ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા પાકનું ઓછું તોલ દર્શાવી અન્યાય કરવામાં આવ્યાની રજુઆત મામલતદાર સહિતના સબંધિત વિભાગોને કરવામાં આવી હતી. ખેડુતોનું કહેવું છે કે,લાંબા સમયથી કેટલાંક વેપારીઓ દ્વારા આવી ગેરરીતિઓ કરવામાં આવી રહી હતી, જેથી ખેડુતોને આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે.
કુકરમુંડા ગામમાં વેપારીઓ દ્વારા ખેડુતો સાથે છેતરપીંડી તથા વેપારીઓ વચ્ચે શરૂ થયેલ ઝઘડાને લીધે ગામનું નામ ખરાબ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ફુલવાડી ગૃપ ગ્રામપંચાયતના સરપંચ તથા આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, કુકરમુંડા ગામમાં વેપારીઓ દ્વારા આદિવાસી સમાજના ખેડૂતોના પાક ઉપજને તોલમાપના નામે ઘટાડો કરીને છેતરપિંડી કરી રહ્યા છે, ગત્ દિવસોમાં એરડાના પાકનું વજન ઓછું દર્શાવી ખેડુત સાથે અન્યાય કર્યો હતો, જે બાબતે લેખિત રજુઆત થઈ હતી. વધુમાં જાણવા મળેલ છે કે ગામના વડીલ તથા વર્ષોથી વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મગનભાઈ ચૌધરીને કેટલાંક ખાનગી વેપારીઓ ટ્રેકટર ઉપર હંકારી લાવી જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કરેલ હોવાનું જાણવા મળેલ છે.

