વ્યારાની રાણીઆંબા જૂથ ગ્રામપંચાયતમાં હવે આવાસ યોજનામાં પણ ગેરરીતિ આચરી આવાસ માટે સાચા લાભાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યાના આક્ષેપ સાથે ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાની રાણીઆંબા જૂથ ગ્રામપંચાયતના વિભાજન મુદ્દે સરપંચ તથા કેટલાક ગ્રામપંચાયતના લોકો આમને-સામને આવી ચૂક્યા છે, એકબીજા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક રહીશો ગ્રામપંચાયતના વિભાજનની માંગણી કરી રહ્યા છે, જ્યારે સરપંચ, ડે. સરપંચ તથા સભ્યો સદર માંગણીને ખોટી જણાવી રહ્યા છે.વિભાજનનો વિવાદ ચાલુ રહ્યો છે.
ત્યારે આવાસ યોજનામાં રાણીઆંબા જૂથ ગ્રામપંચાયતમાં ગેરરીતિ થઈ રહ્યાના આક્ષેપ સાથે ટીડીઓને જાગૃત નાગરિકોએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાણીઆંબા જૂથ ગ્રામપંચાયતમાં સરકારની દરેક પરિવારને પાકા ઘરના માલિક બનાવવાની યોજનામાં ગેરરીતિ થઈ રહી છે, કેટલાક લાભાર્થીઓએ આવાસ યોજના હેઠળ ઘરનું બાંધકામ શરૂ પણ કર્યું નથી તેમ છતાં આવા લાભાર્થીઓના ખોટા દસ્તાવેજો આપી તમામ હપ્તાની રકમ ઉપાડી લેવામાં આવી છે, એક જ રેશનકાર્ડ ઉપર બે વખત યોજનાના લાભ આપવામાં આવ્યા છે,
પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસનો લાભ લીધા બાદ એ જ રેશનકાર્ડથી વ્યક્તિગત સમાજ કલ્યાણ વિભાગમાંથી પણ આવાસ મેળવ્યા છે. કેટલાક નોકરી કરતા અને પાકા મકાન ધરાવતા લોકોને પણ ગેરરીતિપૂર્વક આવાસનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે જે સાચા જરૂરિયાતમંદ કાચા મકાન ધરાવતા પરિવારોને આવાસનો લાભ મળ્યો નથી. આદિમજૂથમાં આવતા શિવાજીભાઈ કોટવાળિયા કે જેઓને પણ આવાસનો લાભ મળ્યો ન હોવાનો ઉલ્લેખ થયો છે.

