ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર શહેરમાં પતંગ ચગાવતી વખતે સર્જાયેલા વીજ અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. શહેરના ઘોઘા રોડ પર આવેલ ખોડિયાર નગર વિસ્તારમાં પતંગ ચગાવવા અગાસી પર ચડેલા ત્રણ નાના બાળકોને જીવંત વીજ વાયરથી જોરદાર કરંટ લાગ્યો હતો.
આ કરુણ બનાવ શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડિયાર નગરમાં બન્યો હતો. ત્રણ બાળકો ઉત્સાહભેર અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા, ત્યારે અચાનક નજીકમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ એટલો જોરદાર હતો કે 10 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલી અન્ય બે બાળકીઓ પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.
ઘટના બાદ ત્રણેય બાળકોને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બંને બાળકીઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના મોટા ટોળા એકઠા થયા હતા અને મૃતક બાળકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

