દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત હવે ગુજરાત એટીએસે ગાંધીનગરથી ઝડપેલા ત્રણ આતંકીઓની કસ્ટડી એનઆઈએ એ લીધી છે. આ ત્રણ આતંકી હાલ આઠ દિવસના રિમાન્ડ પર છે. એનઆઈએ ટ્રાન્સફર વોરંટથી આતંકીઓ કસ્ટડી લીધી છે. આ આતંકીઓની પાસેથી મળી આવેલા મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. જેમાં 73 સાગરીતો તેમના સંપર્કમાં હતા. જયારે એનઆઈએ દ્વારા આ આતંકીઓની પૂછતાછ કરવામાં આવશે. તેમજ દિલ્હી વિસ્ફોટ કેસની ખૂટતી કડીઓને મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ આ આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી સાથે શું કનેક્શન હતું તેની પણ તપાસ કરાશે.
ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના રોજ ધરપકડ કરાયેલા ત્રણ આંતકીઓ અને અન્ય કેદીઓ વચ્ચે 18 નવેમ્બરના રોજ સાબરમતી જેલમાં વિવાદ થયો હતો. આ વિવાદે મારામારીનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. જેના પગલે પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેની બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો.
આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ડો. સૈયદ અહેમદનો ઈરાદો ખતરનાક હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. તેમજ મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય આતંકી ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતથી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

