સુરત શહેરના ઉમરવાડા, નવા કમેલા ખાતે આવેલા રાજીવ નગરમાં પ્રેમી સાથે રહેતી 16 તરુણીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. તરુણીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉમરવાડા, નવા કમેલા ખાતે આવેલા રાજીવ નગરમાં રહેતી 16 વર્ષની સાજિયાબાનું ગુલામ અબ્બાસ મોસીને ગઈકાલે સાંજે પોતાના ઘરમાં છતના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સાજિયાબાનું મૂળ યુપીના મિરઝાપૂરની વતની હતી, તેણીને અન્ય બે બહેન છે. તેના પિતાનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. મૃતક સાજિયાબાનુનો મૂળ અમદાવાદના સલમાન સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી સલમાન હાલમાં 18 વર્ષનો હોય અને સાજિયાબાનુ સગીર વયની હોવાથી બંનેના નિકાહ થઈ શકે તેમ ન હતા. જેથી છેલ્લા ચાર માસથી તેની રાજીવનગરમાં પ્રેમી સાથે જ રહેતી હતી. પ્રેમી સલમાન અને તેનો પરિવાર સિલાઈકામ કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજે સાજિયાબાનુએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ લેતા ચકચાર મચી હતી. આપઘાતના બનાવ અંગે પુણા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

