સુરતના અડાજણના આહુરાનગરમાં રહેતી મહિલા બેંક કર્મચારીએ સાસરિયાના ત્રાસથી આપઘાત કરવાના પ્રકરણમાં પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદ અનુસાર સાસરિયાઓ સામે ગુનો દાખલ કરી અડાજણ પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના અડાજણ પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના રહેમુગામ, જિ. મંદસૌરના વતની રામગોપાલ મોહનલાલ પોરવાલની પુત્રી પૂજાના લગ્ન ૭ડિસેમ્બર, ૨૦૨૨માં આદિત્ય અશોકભાઈ ધનોતીયા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અશોક કોટક બેંકમાં અને પૂજા યુનિયન બેંકમાં નોકરી કરવા સુરત અડાજણની આહુરાનગર સોસાયટીના ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પૂજા જ્યારે પણ પિયરે જતી હતી ત્યારે પતિ અશોક નશામાં તેને ત્રાસ આપતો હતો. સાસુ સુનિતાબાઈ સસરા અશોકભાઈ તારો પગાર કયાં જાય છે એમ કહીને રિયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરવાના નામે પુજા પર ત્રાસ ગુજારતા હતા. નણંદ દિવ્યા અને પ્રજ્ઞા પણ તેને વાંઝણી હોવાના મહેણાંટોણાં મારતી હતી. પુજા પાસે આ લોકોએ યુનિયન બેંકમાંથી જબરજસ્તી લોન લેવડાવી હતી. તેણે વાત માતા ગાયત્રીબેનને પણ કરી હતી. સતત અને અસહ્ય ત્રાસથી કંટાળી પુજાએ ૨૭ માર્ચે રાત્રે આહુરાનગરના ઘરમાં બેડરૂમના પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પૂજાના પિતા રામગોપાલ પોરવાલે અડાજણ પોલીસ મથકમાં પતિ આદિત્ય ધનોતીયા (રહે. ઓમકાર ફલેટ્સ, અડાજણ), સસરા અશોક કેશરીમલ ધનોતીયા, સાસુ સુનિતાબાઈ (રહે. જનતા કોલોની, શિવમ દિી, મંડસૌર મધ્યપ્રદેશ) અને નણંદ દિવ્યા સંદીપ મહેતા અને પ્રજ્ઞા અર્પિત પોરવાલ સામે પૂજાને આપઘાત કરવા દુત્પ્રેરણા આપી હોવાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

