ઉચ્છલના નાના વાઘસેપા ગામની સીમમાં બે મોટરસાયકલો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને મોટરસાયકલોના ચાલકોના મોત તથા એકને ગંભીર ઇજા પહોંચી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉચ્છલ તાલુકાના નવુ વડગામના ડીપી ફળીયાના રહીશ હરીલાલભાઈ ફુલજીભાઈ વસાવા તા.૨૫મી ના રોજ નારણપુર ગામે બજારમાં શાકભાજી લેવા મોટરસાયકલ પર ઘરેથી સાંજના સમયે નીકળ્યા હતા.
તે દરમિયાન નારણપુરથી કરોડ ગામ તરફ જતા રોડ ઉપર વાઘસેપા ગામની સીમમાં duke મોટરસાયકલના ચાલકે સામેથી હરિલાલભાઈની મોટરસાયકલ સાથે અથડાવી દેતા હરિલાલભાઈને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે duke મોટરસાયકલના ચાલક કરણભાઈ કૈલાશભાઈ વળવી (રહે.કરોડ ગામ, તા.ઉચ્છલ)ને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જોકે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમની સાથે મોટરસાયકલ ઉપર બેઠેલા સ્નેહલકુમાર કૌશીકભાઈ વસાવા (રહે.કરોડ ગામ, તા.ઉચ્છલ)ને માથાના ભાગે, આંખ તથા શરીરે વત્તી-ઓછી ઇજા થઇ હતી. અકસ્માતના બનાવ અંગે ઉચ્છલ પોલીસ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

