સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધુ બે લોકોના મોત થયા હતા. રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતી ૭ વર્ષની બાળકીનું તાવમાં અને લિંબાયતમાં વૃધ્ધા ઝાડા-ઊલટીમાં મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા કરશનભાઈ સોલંકી મજુરી કામ કરી પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્રનું ભરણપોષણ કરે છે. કરશનભાઈની ત્રણ પુત્રી પૈકી ૭ વર્ષની ક્રિષ્નાને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જેથી દવા લીધી હતી. પરંતુ તબિયતમાં કોઈ સુધારો થયો નહતો. ત્યારબાદ સવારે ક્રિષ્નાની વધુ તબિયત લથડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી.બીજા બનાવમાં લિંબાયત સંજય નગરની બાજુમાં આવેલ આસપાસ નગરમાં ૬૫ વર્ષીય મીરાબેન સ્વામીનાથ ગુપ્તા પરિવાર સાથે રહીને નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. ગત ૧૯મી રાત્રે મીરાબેનને ઘરે એકાએક ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં મીરાબેનનું સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું.

