સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. મહિલાએ પતિનો કામધંધો બરાબર ચાલતો નહતો. જેના ટેન્શનમાં તેમણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ રાંદેર ગોગા ચોક નજીક આવેલા પાલનપુર જકાતનાકા ખાતે સંજયભાઈ પરમાર સીઝનેબલ ધંધો કરી પત્ની ૩૨ વર્ષીય ભાવનાબેન તેમજ ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સંજયભાઈનો કામધંધો બરાબર ચાલતો નહતો. જેના ટેન્શનમાં ગત ૯મી ઓગસ્ટે બપોરના સમયે ભાવનાબેને ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ ગઈકાલે રાત્રે વધુ તબિયત લથડતાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ભાવનાબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.
જયારે બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મૂળ બિહાર લખીસરાઈના વતની અને હાલ સચિન જીઆઇડીસી મહાલક્ષ્મી ખાતે આવેલ ગુલાબ મૌર્યાની ચાલમાં ૨૩ વર્ષીય સંદીપકુમાર રામપ્રવેશ સાવ રહેતો હતો અને જરી મશીન પર કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. સંદીપ કુમારને અન્ય બે ભાઈ છે. સંદીપકુમાર ગઈકાલે સાંજે તેની મંગેતર સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરતો હતો. દરમિયાન કોઈ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં સંદીપકુમારે રૂમમાં જઈ પંખા સાથે ગમછો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક સંદીપકુમારના પરિવારજનોએ જણાવ્યું હતું કે આગામી ૩૦ નવેમ્બરના રોજ સંદીપકુમારના લગ્ન હતા. અને તેણે મંગેતર સાથે કોઈક બાબતને લઈ થયેલા ઝઘડાનું માઠું લગાડી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવવા અંગે વધુ આગળની તપાસ સચિન જીઆઇડીસી પોલીસ કરી રહી છે.


