સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.૧૫૫૦ કરોડના સાયબર ફ્રોડના કેસમાં મુખ્ય આરોપીઓને કરંટ એકાઉન્ટ ખોલીને વેચાણથી આપનારા ૧૩ પૈકી ૯ આરોપીએ કરેલી જામીન અરજી જેએમએફસી કોર્ટે નકારી કાઢી હતી.
નાયબ પોલીસ કમિશનર સી ડિવીઝનના ચિરાગ પટેલની અધ્યક્ષતામાં ઉધના પીઆઈ એસ.એન.દેસાઈ અને સાયબર ક્રાઈમના પીએસઆઈ આર.એ.રાણપરીયા સહિત ૧૧ પોલીસ જવાનોની ટીમ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.૧૫૫૦ કરોડના સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. ઉધના પોલીસે વધુ ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મીત ખોખર અને કિરાત જાદવણી સહિતના માસ્ટર માઈન્ડો પાસેથી ૨ લાખથી ૬૦ હજાર સુધીનો નાણાકીય લાભ મેળવીને આ ૧૩ આરોપીઓ અલગ-અલગ બેંકોના કરંટ એકાઉન્ટ ખોલીને તેમને આપ્યા હતા. અને આ આરોપીઓના ખાતામાં ભારતમાંથી કુલ ૨૫૦૦ જેટલી સાયબર ફ્રોડના નાણા આવ્યા છે અને જે નાણા હાલના આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળી કઢાવી લીધા છે. આ ૧૩ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.જોકે, પોલીસે રિમાન્ડ નહી માગતા ૧૩ પૈકી હાર્દિક મૈયાણી, દિપક રાજપુત,વિનુ જાદવાણી, વિપુલ ઈટાલિયા, કલ્પ દેવાણી,રજની કુભાણી,સુમીત કેવડીયા, હાર્દિક કુંભાણી અને સૌરભ કયાડાએ જામીન અરજી કરતા કોર્ટે નકારી કાઢી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ પવન શાહે દલીલો કરી હતી.

