હીરામાં મંદી વચ્ચે વધુ એક આધેડ રત્નકલાકારે આર્થિક તંગીથી ત્રાસી જીવ ગુમાવ્યો છે, જેમાં વેડરોડ ખાતે રહેતા રત્નકલાકારે સિંગણપોર કોઝ-વે રોડ પાસે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આધેડે આર્થિક તંગીમાં આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની અને હાલ વેડરોડ ખાતે આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં ૫૪ વર્ષીય હીરાલાલ ગંગારામ ગરાજણા પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગઈકાલે સાંજે સિંગણપોર કોઝ-વે રોડ પાસે હીરાલાલે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં ઘટનાની જાણ પરિવારને કરી હતી. જેથી પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હીરાલાલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું ગઈકાલે રાત્રે મોત થયું હતું. પરિવારે જણાવ્યું હતું કે હીરાલાલે આર્થિક તંગીમાં અપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ચોકબજાર પોલીસ કરી રહી છે.
બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ અમરોલી રઘુવીર સોસાયટી નજીક આવેલા ઇશ્વરભાઇની બિલ્ડીંગમાં બીજા માળે ગત ૧૨ની ઓગસ્ટના રોજ ૩૦ વર્ષીય ઓમપ્રકાશ કૈલાશ ગૌડ મિત્રની રૂમ પર મિત્રોને મળવા માટે આવ્યો હતો. અને ત્યાંથી એક દિવસથી પછી વાપી ખાતે નોકરી પર જવાનો હતો. દરમિયાન ગત ૧૪મીએ બપોરે ઓમપ્રકાશ નશાથી હાલતમાં બીજા માળે પાળી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓમપ્રકાશનું સારવાર દરમિયાન રાત્રે મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.

