છાપરાભાઠા રોડ પર આવેલા રાધિકા પોઇન્ટ પાસે બે મિત્રોની બાઈકને અકસ્માત નડ્યો હતો. બંને મિત્રો બાઈક પર ફરવા નીકળ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે મિત્રની બાઈક ને અડફેટે લેતા એક મિત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા મિત્રનો આબાદ બચાવ થયો હતો.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ જૂનાગઢના વતની અને હાલ અમરોલી ન્યુ કોસાડ રોડ પર આવેલ ઓમ શાંતિનગર સોસાયટીમાં ૨૪ વર્ષીય વિરાજ રાજેશભાઈ ચાંદગેરા પરિવાર સાથે રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. ગત ૧૬ ઓગસ્ટના રોજ રાત્રે વિરાજ મિત્ર સાથે ઘરેથી બાઈક પર ફરવા નીકળ્યો હતો. દરમિયાન છાપરાભાઠા રોડ પર આવેલા રાધિકા પોઇન્ટ પાસેથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે વિરાજની બાઈકને ટક્કર મારી તેઓને અડફેટે લીધો હતો. જેથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વિરાજને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.

