ડાયરા કલાકાર દેવાયત ખવડની ગીરમાં બબાલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના રિમાન્ડ મંજુર કર્યા છે અને તમામને 15,000ના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. જોકે તાલાલા પોલીસે 151 હેઠળ જામીન લેવડાવવા તાલાલા મામલતદાર સમક્ષ રજુઆત કરેલી અને તાલાલા મામલતદારે તમામને જામીન મુક્ત કર્યા છે. દેવાયત ખવડ સહિત 7 આરોપીઓ હાલ પોલીસ ગિરફ્તમાંથી મુક્ત થયા છે.
મળતી વિગતો પ્રમાણે તાલાલા પોલીસે રિમાન્ડ અને જામીન પર છોડવાના નીચલી કોર્ટના હુકમ સામે ડિસ્ટ્રીક કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. ડિસ્ટ્રીક કોર્ટ બંને પક્ષે સાંભળી 2 દિવસમાં હુકમ કરી શકે છે. જો રિમાન્ડ અરજી ગ્રાહ્ય રાખે છે તો ફરી તમામની પોલીસ ધરપકડ કરશે. ઉલ્લેખનીય છે કે મારામારીના કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડની 17 ઓગસ્ટના ધરપકડ કરવામાં આવી હતી. દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરીને તાલાલા પોલીસ રિમાન્ડની માગ કરી હતી. હત્યાના પ્રયાસના કેસમાં ખવડ સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂર્વાયોજીત કાવતરૂ ઘડી હુમલો કર્યો હતો. હુમલા પહેલા અને પછી શું કરવું તેનો પ્લાન ઘડ્યો હતો. ગુનામાં વપરાયેલા વાહન 15 દિવસ પહેલા મેળવ્યા હતા અને પોલીસથી બચવા મોબાઈલ જંગલમાં ફેંકી દીધા હતા. તમને જણાવી દઈએ કે તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત અન્ય લોકોને દુધઈમાંથી ઝડપી લીધા હતા. દેવાયત ખવડ સામે અગાઉ પણ મારા મારીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તેમજ આ ગુનામાં મારા મારી, ધમકી અને લૂંટ કરી હોવાનો ગુનો નોંધાયેલો છે. તેમણે તેમના સાથીઓ સાથે મળી ગીરમાં કારને ટક્કર મારી તેમાં રહેલા એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. તેમજ તેમને માર મારી ફરાર થઈ ગયા હતા. જે બાબતે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.

