નવી મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધના ઘરમાંથી 85.5 લાખ રૂપિયાના સોનાના દાગીના, લગડી અને સિક્કા ચોરવા બદલ ત્રણ નોકરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ નેરુળમાં રહેતા વૃદ્ધના ઘરમાં એપ્રિલથી જૂન દરમિયાન ચોરીની ઘટના બની હતી. એ સમયગાળામાં વૃદ્ધના ઘરે ત્રણ મહિલા ઘરકામ કરતી હતી.ત્રણેય નોકરાણીએ વૃદ્ધની જાણ બહાર ઘરમાંથી સોનાના દાગીના, લગડી અને સિક્કા ચોર્યા હતા, જેની કિંમત 85.50 લાખ રૂપિયા હતી. નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બે નોકરાણી નેરુળની રહેવાસી છે, જ્યારે ત્રીજી નોકરાણી મુંબઈમાં રેલવે સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે.ત્રણેય જણે ઘરકામ કરતી વખતે ચૂપચાપ વૃદ્ધના ઘરમાં હાથફેરો કર્યો હતો. દરમિયાન ઘરમાં ચોરી થઇ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ વૃદ્ધે નેરુળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે સોમવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

