ભરૂચના દહેજમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવાથી 2 કામદારના મોત થયા છે અને 3 કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફેઝ-1 માં શિવા ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને રીએક્ટરમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, 1 ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં વડોદરા ખસેડાયો છે.
ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમમાં વારંવાર બોઈલર ફાટવાની ઘટનાઓ અને આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ફેઝ-1માં આવેલ શિવા ફાર્માકેમ કંપનીમાં મોડી રાતે રીએક્ટરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી અને ઘટના સ્થળે બે કામદારના મોત થયા હતા, સમગ્ર ઘટનામાં કંપનીમાં રહેલા કામદારો બહાર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, એસિડ ક્લોરાઈડની પ્રોસેસ દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો.આ ઘટના બની તે સમયે નજીકમાં કામ કરતા ૩ કામદારોને ગેસની અસર થતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં એક કામદારની હાલત વધુ ગંભીર થતા તેને વડોદરા સારવાર હેઠળ ખસેડાયો છે, અર્જુન પટેલ તેમજ પ્રવિણ પરમારને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા છે. બનાવના પગલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ વાગરા મામલતદારની ટીમ પણ ધટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે, તો મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

