સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક 17 વર્ષીય કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોન આપવાની ના પાડતા આપઘાત કરી લીધો છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રહેતો આ કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જોકે, અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે તે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. જેને લઈને તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી. પિતાના આ નિર્ણયથી નારાજ વિદ્યાર્થીને આઘાત લાગતાં તેણે જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં મોબાઈલની લત અને તેના ગંભીર પરિણામો પર ચિંતા ઉભી કરી છે. વાલીઓએ બાળકોના મોબાઈલ ઉપયોગ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

