ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક સહિત 4 જેટલાં લોકોને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં એક યુવક અને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામમલે એ ડિવિઝન પોલીસે સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલ તરફના રસ્તે શક્તિમાના મંદિર પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3-4 વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 62 વર્ષીય ચંપાબહેન પરશોત્તમભાઈ વાછાણીનું મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પોલીસે આરોપી કાર ચાલક યુવકની અટક કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં અકસ્માતને અંજામ આપનારો કાર ચાલક પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું હતું.

