નવસારીનાં ગણદેવી તાલુકાનાં દેસાડ ગામનો પરિવાર સામાજીક કામે વતન રાજસ્થાન જતા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂપિયા ૭૦ હજારની ચોરી ગયા હતાં. મળતી માહિતી મુજબ, દેસાડ ગામે રહેતા અને અઢી દાયકાથી અનાજ કરિયાણાની દુકાન ચલાવતા રાધેશ્યામ હરદેવ કુમાવત (ઉ.વ.૪૩) ગત તારીખ ૩ નારોજ બપોરે પરિવાર સાથે સામાજિક કામે વતન રાજસ્થાન ગયા હતા. 
તે દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મકાન પાછળની વાડી વાળા રસ્તે આવ્યા હતાં અને પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી રસોડાની દીવાલની બાજુનાં કબાટ માંથી કુલ રૂપિયા ૭૦ હજાર રોકડની રકમ ચોરી ગયા હતાં. તેમની સમગ્ર કરતૂત મકાન અંદરના સીસીટીવી કેમેરામાં કૈદ થઈ હતી. જેની જાણકારી તસ્કરોને ન હતી. જોકે આગળનાં દરવાજા સામે સીસીટીવી લગાવેલા હોવાથી તેમણે પાછળનાં દરવાજાથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આમ, કુમાવત પરિવાર રાજસ્થાનથી ચાર દિવસ બાદ તારીખ ૦૭/૦૭/૨૦૨૫ નાંરોજ દેસાડ પરત આવતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. તેમજ સીસીટીવીમાં બે તસ્કરો ચોરી કરતા દેખાયા હતાં. સમગ્ર બનાવ અંગે પરિવારએ સરપંચ અને ગણદેવી પોલીસને જાણ કરી હતી. ચોરી અંગે પોલીસે રાધેશ્યામ કુમાવતની અરજી લઈ ખારેલ પોલીસ ચોકીએ તપાસ હાથ ધરી હતી.

