સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં બરબોધન ગામની સીમમાં બંગલો ખરીદવામાં સુરત શહેરનાં કતારગામ વિસ્તારના એક વકીલ સાથે સુરતના જ બે શખ્સોએ ૧૨.૧૧ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ પાસેની સ્મૃતિ સોસાયટીના મકાન નં.એ-૨૧૪માં રહેતા હિતેશભાઈ રતનભાઈ જોષી વકીલ છે.
તેમણે બરબોધન ગામની સીમમાં પેસેફિક હોમમાં બંગલા નં.૮૩ને સને:૨૦૨૩ના મે મહિનામાં સુરત શહેરના પાલનપુર ગામે રાજ ગેલેલીમાં ઓફિક્સ નં.૦૫થી કુંદન ડેવોલોપર્સ નામથી ધંધો કરતાં નીતિન વસંત જગનવાળા (હાલ રહે.૮, આદિત્ય રો-હાઉસ, સરસ્વતી વિદ્યાલયની સામે, પાલનપુર જકાતનાકા-સુરત શહેર) મારફત રૂપિયા ૧૨.૧૧ લાખની કિંમતથી બંગલો ખરીદ્યો હતો.
તે સમયે દલાલ નીતિન જગનવાળાએ આ બંગલો મુળ કામરેજ ગામની ત્રિલોક રેસીડેન્સી,સી-૧૦૩નો વતની નિલેશ મહેન્દ્ર હરીયાણી (હાલ રહે.સ્કાઈ ઓન એપાર્ટમેન્ટ,૧૪મો માળ, એલ.પી.સવાણી સ્કૂલ પાસે, પાલ-સુરત શહેર)નો હોવાનું જણાવતા તેની સાથે સોદાચિટી બનાવી રૂપિયા ૧૨.૧૧ લાખ ચૂકવ્યા હતાં.
પરંતુ ફરીયાદી વકીલને પાછળથી ખબર પડી હતી કે, આ બંગલાનો માલિક નિલેશ મહેન્દ્ર હરીયાણી ન હતો છતાં આ બંને શખ્સોએ કાવતરૂ રચી તેની સાથે ઠગાઈ કરી છે. આ ઠગાઈ બાદ આરોપીઓ પાસે રૂપિયા માંગવા છતાં તેઓએ આજદિન સુધી પરત કર્યા ન હતાં. આમ, વકીલ હિતેશભાઈ જોષીએ તારીખ ૦૧ નારોજ ઓલપાડ પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

