ભાવનગરનાં મહુવાનાં પ્રસિદ્ધ ભવાની મંદિરનાં બે પુજારીએ મંદિરમાં ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ મંદિરના ટ્રસ્ટી દ્વારા મહુવા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, મહુવા ખાતે રહેતા અને મહુવાના કતપર નજીક આવેલ ભવાની માતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપતા પ્રફુલચંદ્ર દલપતરામ પંડયાએ મહુવા પોલીસ મથકમાં રમેશભારથી અને જયદેવભારથી (બન્ને રહે.ભવાની મંદિર, કતપર ગામ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ ૯-૧૧ થી ૨૫-૦૬ સુધી ભવાની મંદિર કતપર ખાતે સેવાપુજામાં પગારદાર તરીકે રહેલા ઉક્ત રમેશભારથી અને જયદેવભારથી વારા પ્રમાણે મંદિરમાં સેવાપુજાનું કામ કરતા હતા.
દરમિયાનમાં મંદિરમાં લગાવવામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા ગત તારીખ ૨૩-૦૪ નારોજ ઉક્ત રમેશભારથી માતાજીના ચાંદીના છત્તર તથા તારીખ ૨૬-૧૨-૨૦૨૪ અને તારીખ ૦૫-૦૧ નારોજ જયદેવભારથી મંદિરના ગર્ભગૃહમાંથી રોકડા રૂપિયા અને માતાજીને ચડાવવામાં આવતી સાડીની ચોરી કરતા જોવામાં આવ્યા હતા. તેમજ ૨૫-૦૬ના રોજ એક ભક્ત દ્વારા માતાજીને ચડાવવામાં આવેલો રૂપિયા ૨૫ હજારનો ચડાવો મંદિરના ટ્રસ્ટમાં કે દાનપેટીમાં જમા કરાવ્યો નહોતો. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

