ગીરસોમનાથ જિલ્લાના જામવાળા ગીર પાસે આવેલી શિંગોડા નદી પાસે જમજીર ધોધ પાસે દિવના 6 પ્રવાસીઓ ફસાઇ જતાં તરવૈયાઓએ બચાવી લીધા હતા. તમામને ગીરગઢડા સીએચસીમાં મેડિકલ ચેક-અપ માટે લઇ જવાયા છે. દીવથી 6 પ્રવાસીઓ ગીર સોમનાથ જિલ્લાના પર્યટને આવ્યા હતા.
આ ગુ્રપ જમજીર ધોધે પહોંચ્યું હતું. તમામ પ્રવાસી નદીમા ઉતરી ધોધ તરફ જઇ રહ્યા હતા.
એ વખતે જ ઉપરવાસના ભારે વરસાદથી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બધાના હોંશકોશ ઊડી ગયા હતા. આ બધાએ જીવ બચાવવા નદીની વચ્ચે શીલાએ પહોંચી ગયા હતા. એક બાજુ નદીમાં શીલા ડૂબી જાય એટલી રહે જળ સ્તર વધતું હતું. આથી સૌએ નદી વચ્ચે જળ સમાધી લેવી પડે એવી કફોડી હાલત સર્જાઇ હતી. પ્રવાસીઓ ફસાયા હોવાની વાડી વિસ્તારના લોકોને જાણ થતા તે દોડયા હતા અને ઘાંટવડ, જામવાળાના તરવૈયાઓને જાણ કરતા તે પહોંચ્યા હતા. એ પછી સરકારી તંત્ર પહોંચ્યું હતું. સૌએ પ્રયાસ કરી સહેલાણીઓ સુધી તરતા-તરતા પહોંચી બચાવી લેતા સૌને હાશકારો થયો હતો.

