રાજ્ય સરકારના મહત્વકાંક્ષી કાર્યક્રમ એવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત વ્યારા તાલુકાના પ્રાથમિક શાળા કણજા, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બેડકુવાદૂર અને જ્ઞાનદીપ વિદ્યાલય ઉંચામાળા ખાતે રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.
કાર્યક્રમના પ્રારંભ વેળાએ ઉપસ્થિત બાળકો,વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા રાજયમંત્રી હળપતિએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ફળશ્રુતિ સ્વરુપે શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિના આપણું જિવન પાંગળુ છે.
શિક્ષણ માત્ર નોકરી માટે નહીં, પરંતુ પોતાનું જીવનધોરણ સુધારવા માટે ખૂબ જરૂરી છે. આ પ્રસંગે રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને યાદ કરી તેમણે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજયના ડ્રોપ આઉટ રેટમાં ધરખમ ઘટાડો નોંધાયો છે એમ ઉમેર્યું હતું.
રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો સરસ્વતિ અને નમો લક્ષ્મી યોજના,પાઇલોટ બનવા માટે આપવામાં આવતી સહાય જેવી વિવિધ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. આ યોજનાઓ થકી થનારા ફાયદાઓ અંગે પણ વિગતે છણાવટ કરી, આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ તેમજ કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ અંગે પણ વિગતે માહિતી આપી હતી.

