પલસાણાનાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ૪૮ પર પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા બારડોલીના ૨૨ વર્ષીય બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં તેન ગામમાં ગોચર ફળિયામાં રહેતા અને નવસારીના આરકગામ ખાતે આવેલી ફ્લિપકાર્ટ કંપનીમાં નોકરી કરતા હાર્દિક મુકેશભાઈ રાઠોડ પોતાની બાઈક લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. 
જ્યાં અમદાવાદ મુંબઈ શ્રીરામ સર્વિસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા હાર્દિકભાઈ રોડ પર પટકાતા હતા. જેમના મોઢા પરથી વાહનનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં હાર્દિકભાઈના પિતા મુકેશભાઈ રાઠોડે પલસાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

