ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં બિલેશ્વરપુરામાં આવેલી રાજરત્ન મેટલ્સ લિમિટેડ કંપનીમાં કેન્ટીનમાં કામ કરતા સાથી કર્મચારીએ મિત્રને પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકામાં માથામાં દસ્તા મારીને હત્યા કરી હતી. જે ગુનામાં ફરાર આરોપીને ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા સુરત ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. 
મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાના બિલેશ્વરપુરામાં આવેલી રાજરત્ન મેટલ્સ લિમિટેડ કંપનીમાં ઉત્તર પ્રદેશના ચિત્રકુટના રાજપુરા ગામનો શ્યામજી મહેશ માલી અને તેનો મિત્ર મુકેશ કેવટ રસોઈયા તરીકે કામ કરતા હતા. શ્યામજીને શંકા હતી કે મુકેશ તેની પત્ની સાથે ફોન પર વારંવાર વાત કરે છે. આ અંગે અગાઉ તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને શ્યામજીએ મુકેશને તેની પત્ની સાથે ફોન પર વાત ન કરવા સમજાવ્યો હતો. તેમ છતાં મુકેશે વાતચીત ચાલુ રાખતા શ્યામજીને આડા સંબંધોનો વહેમ પડયો હતો અને તેણે મુકેશને મારી નાખવાનું નક્કી કર્યું હતું. જેથી શ્યામજીએ કેન્ટીનમાં સૂતેલા મુકેશ કેવટના માથામાં દસ્તા વડે ચારથી પાંચ ઘા મારી હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

