અમદાવાદમા થયેલી વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ લેવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતથી બાય પ્લેન મહેસાણા પહોંચ્યા હતાં.અમદાવાદ એરપોર્ટ બંધ હોવાથી તેઓ મહેસાણા પહોંચ્યા હતાં.મહેસાણાથી કારમાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતાં. તેમણે વિમાન દુર્ઘટના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, આ પ્રકારની દુર્ઘટના બનશે એવી ક્યારેય ખબર નહોતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ પ્લેનમાં સવાર હતાં. આ ભાજપ પરિવાર માટે ખૂબ મોટો આંચકો છે. તેઓ પ્લેનમાં લંડન જઈ રહ્યાં હતાં. અમારા માટે આ અત્યંત મોટી ખોટ છે. તેમની સાથે હોસ્ટેલના સ્ટુડન્ટ અને ડોક્ટરોને પણ હાની પહોંચી છે. આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ભગવાન શક્તિ આપે.એર ઈન્ડિયાના પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતાં. તેઓ બિઝનેસ ક્લાસમાં સવાર હતાં. તેમની ટિકીટ પણ સામે આવી છે અને મુસાફરોના લિસ્ટમાં 12મા નંબરે તેમનું નામ છે. આ પ્લેન દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને ડીએનએ સેમ્પલ માટે સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે.

