ભારત સરકારશ્રી દ્વારા મહિલાઓના સશક્તિકરણ કરવાની મહત્વાકાંક્ષી પહેલથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ -૨૦૨૩ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સશક્તિકરણ કરવાનો છે.નવસારી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન નિમિત્તે રાષ્ટ્રીયકક્ષાનો લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. ત્યારે ચાલો આપણે જાણીએ લખપતિ દીદી છે કોણ?
લખપતિ દીદીએ સ્વસહાય જુથની મહિલા સભ્યો છે, ‘લખપતિ દીદી’ એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય* આ મહિલાઓ તેમના આવકના ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરી જુદા જુદા સ્ત્રોત જેમકે, ખેતી, પશુપાલન વિગેરે સાથે જોડાઇ ટકાઉ આજીવિકા મેળવી માત્ર આવક જ નહી, પરંતુ પ્રેરણાદાયી સફર દ્વારા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.સરકારશ્રી હાલ “લખપતિ દીદી” યોજના જેવી પહેલને સક્રિયપણે સંપૂર્ણ સમર્થન આપી રહી છે. આ પહેલમાં તમામ સરકારી વિભાગો/મંત્રાલયો, ખાનગી ક્ષેત્ર અને નાણાંકીય સંસ્થાઓમાં યોગ્ય રીતે સંકલન કરી જુદા જુદા પ્રકારની આજીવિકા પ્રવૃત્તિઓની સુવિધા પુરી પાડવા માઇક્રો પ્લાનિંગ કરી, તેના પર અમલીકરણ થાય તે મુજબનું આયોજન, અમલીકરણ અને દેખરેખ કરવામાં આવી રહેલ છે.
નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ૮૨ હજારથી વધુ લખપતી દીદીઓ : નવસારી અને વલસાડ-ડાંગ સંસદીય મતવિસ્તારમાં દક્ષિણ ગુજરાતના 3 આદિજાતી જિલ્લાઓ દ્વારા નાણાંકીય વર્ષ: ૨૦૨૪-૨૫માં ૮૨ હજારથી વધુ SHG સભ્યોને/મહિલાઓને લખપતિ દીદી બનાવવાની પ્રયત્નશીલ રહ્યા છે.
નવસારી જિલ્લામાં ૪૧,૦૭૭ લખપતિ દીદીઓ છે. જ્યારે વલસાડ જિલ્લામાં ૨૮,૧૮૪ લખપતિ દીદીઓ અને ડાંગ જિલ્લામાં ૧૩,૫૭૨ આમ ત્રણે જિલ્લા મળી કુલ- ૮૨,૮૩૩ લખપતિ દીદીઓ આપણા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં છે. આ દીદીઓ પશુપાલન, ખેતી (પ્રકૃતિક ખેતી સહિત), નર્સરી, ઉત્પાદન અને માર્કેટિંગ, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો વગેરે સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જુથના સભ્યોની કુલ આવકમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ હેઠળ મળેલ લાભનો પણ સમાવેશ થાય છે.
