તાપી જિલ્લામાં સોનગઢથી લગભગ 14 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલુ દોણ ગામ નજીકનાં ગૌમુખ મહાદેવ મંદિર લોકોમાં આસ્થાના પ્રતીક સમાન છે. મંદિરે બારેમાસ ગાયના મુખમાંથી જલધારા વહે છે. જલધારા દસ-પંદર ફૂટ નીચે ગયા બાદ તેનુ પાણી ક્યાં જાય છે તેની આજદિન સુધી કોઈને ખબર નથી.
ઋષિમુનિઓ દ્વારા આ પ્રાચીન ગૌમુખ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત સહીત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે સાચા મન અને સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર ડુંગરોની વચ્ચે જ્યાં કુદરતે અઢળક સૌંદર્ય વેર્યું છે ત્યાં પવિત્ર અને પૌરાણિક શિવાલય ગૌમુખ મહદેવજીનું મંદિર ભક્તજનોમાં આસ્થાનુ પ્રતીક બનવા પામ્યુ છે.ગુરુ દ્રોણાચાર્યએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે સાથે ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહના નીચેના ભાગમાં અવિરત જલધારા ચાલુ છે.
બારે માસ ગાયના મુખમાંથી જલધારા વહેતી રહે છે.જલધારા લગભગ દસ-પંદર ફુટ નીચે ગયા બાદ તેનુ પાણી કયાં જાય છે તેની આજ સુધી કોઈને પણ ખબર નથી.બાજુમાં નાના કોતરમાં પણ જલધારાનું પાણી મળતું નથી અને જલધારા અવિરતપણે ચાલુ જ રહે છે જેને પગલે મંદિર ભકતજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ડુંગર વિસ્તારમાં બિરાજમાન ગૌમુખ મહાદેવના દર્શને દૂરદૂરથી ભાવિકો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ગાઢ જંગલની વચ્ચે બિરાજતા ગૌમુખ મહાદેવનુ મંદિર તાપી જિલ્લાના અતિ પૌરાણિક મંદિરોમાનું એક છે.મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો મંદિરે જે પણ માનતા માને છે તે ભક્તજનોની માનતા ગૌમુખ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે.ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન મહાદેવજીના દર્શન કરી દર્શનાર્થીઓ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે.

