Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની ધરપકડ

બી. આર. ચોપરાની મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની ગુરુવારે કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. ભાજપના નેતા અને પૂર્વ સાંસદ રૂપા ગાંગુલી કોલકાતાના બાંસદ્રોણી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

અહીં બુધવારે સવારે જેસીબીથી કચડાઈ જતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. જેને લઈને રૂપા વિરોધ કરી રહી હતી. દરમિયાન, ગુરુવારે કોલકાતા પોલીસે સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ રૂપાની ધરપકડ કરી હતી અને તેને અલીપૂર પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.વાસ્તવમાં આ આખો મામલો બુધવારે સવારે એક વિદ્યાર્થીના મોત સાથે જોડાયેલો છે. અહીં, કોલકાતાના બાંસદ્રોણી વિસ્તારમાં જેસીબીથી રોડ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આ વિસ્તારના વોર્ડ નંબર ૧૧૩માં રહેતો એક વિદ્યાર્થી અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને જેસીબીએ ટક્કર મારી હતી.જેસીબીની ટક્કરથી વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. આ પછી વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થળ પર તણાવ વધી ગયો હતો અને લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. લોકોએ સ્થાનિક ટીએમસી કાઉન્સિલરને સ્થળ પર બોલાવવાનો આગ્રહ કર્યો હતો.

આ સમગ્ર મામલાને લઈને ભાજપના કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. રૂપા પણ અહીં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહી હતી, જે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ રૂપાએ કહ્યું હતું કે, ‘હું કોઈને હેરાન કરતી નહોતી કે હું કોઈના કામમાં અવરોધ ઊભો કરતી નહોતી. હું શાંતિપૂર્વક હત્યા કરાયેલ છોકરા માટે ન્યાયની માંગ કરી રહી હતી. હવે આ મામલે કોલકાતાનું રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે.રૂપા ગાંગુલીએ ૯૦ના દાયકામાં પ્રસારિત થતી ટીવી સીરિયલ મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રે રૂપાને દેશભરમાં ઓળખ અપાવી. આ સીરિયલ પછી ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું અને પછી રાજકારણમાં જોડાઈ. હવે રૂપા ગાંગુલીની ગણના બંગાળમાં ભાજપના મોટા નેતાઓમાં થાય છે.

Advertisement
error: Content is protected !!