ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારોમાંથી આવતાં બાળકોને શાળામાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી મધ્યાહન યોજનામાં થઇ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ચોંકાવનારી ઘટના કચ્છમાંથી બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.ભેદી બીમારીના ભરડામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા અબડાસા તાલુકાના છેવાડાના મોટી બાલાચોડ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના મધ્યાન ભોજનમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી, સડી ગયેલા અખાધ ચણા જમવામાં અપાતા હોવાનું સામે આવ્યું છે!.
દેશભરમાં મધ્યાહન ભોજનમાં અખાધ ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેમ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગામે આવેલી પ્રાથમિક શાળાના ભોજનમાં બાળકોને આપવામાં આવેલા ચણાનો જથ્થો અખાદ્ય હોવાનું અને તેમ જીવાતો જોવા મળતાં વાલીઓમાં રોષ ફેલાયો છે.
અત્યારે પ્રવર્તી રહેલી રોગચાળાની ઋતુમાં નાના ભૂલકાંઓને પીરસાતા આવા અખાદ્ય ખોરાકથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય તો જવાબદારી કોની ? તેવા વેધક સવાલો પુરવઠા વિભાગ સામે ઉઠવા પામ્યા છે.અખાદ્ય ચણાના જથ્થા મામલે ભોજન સંચાલક અને સસ્તા અનાજના દુકાનદારે અનાજનો જથ્થો ઉપરથી જ ખરાબ આવતો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું, જોકે આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે તપાસના આદેશ આપ્યા છે, અને હાલ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવા મધ્યાન ભોજન વિભાગને તાકીદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છ સહીત રાજ્યભરની આવી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાય તેવી માંગણી વાલીઓ કરી રહ્યા છે.

