મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં જળસંકટની સમસ્યા જગજાહેર છે, ખાસ કરીને ઔરંગાબાદ જિલ્લો ઘણાં વર્ષોથી આ સંકટનો સામનો કરી રહ્યો છે. અહીંના ફુલંબ્રી બ્લોકમાં દુકાળની પરિસ્થિતિને કારણે લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડી ગયા હતા. તેમને અવારનવાર દુકાનોમાંથી ૨૦ લિટર પાણીની બોટલ ખરીદવી પડતી હતી. આમાં સૌથી વધુ સમસ્યા એ ગરીબ લોકો માટે હતી, જેઓ આ પાણીની બોટલ ખરીદી શકતા ન હતા. તેમના માટે તો કૂવાનું દૂષિત પાણી પીવાનો જ એકમાત્ર વિકલ્પ હતો. જોકે, ફુલંબ્રીનું આ ચિત્ર હવે બદલાઈ ગયું છે. જળસંકટની સમસ્યા તેમના માટે ભૂતકાળ બની ગઈ છે. હવે તેમને પેકેજ્ડ વોટર કે કૂવાનું પાણી પીવાની જરૂર નથી પડતી. ફુલંબ્રીમાં આ સકારાત્મક પરિવર્તનનો શ્રેય આનંદના-કોકા કોલા ઈન્ડિયા ફાઉન્ડેશન અને એમ.એસ. સહેગલ ફાઉન્ડેશનને જાય છે.
આ સંસ્થાઓએ ફુલંબ્રી બ્લોકના વાનેગાંવ, વાવના, બબરા અને ડોંગરગાંવ કવાડ ગામમાં સ્વચ્છ પીવાના પાણીનો સપ્લાય પૂરો પાડ્યો તેમજ અસરકારક જળ વ્યવસ્થાપન સુનિશ્ચિત કર્યું.આનંદના-કોકા કોલા ઈન્ડિયા ફાઉન્ડેશન અને એમ.એસ. સહેગલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ પ્રદેશમાં વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. આ વોટર ATM આરઓ અને યુએફ યુનિટથી સજ્જ છે. આનાથી ગ્રામીણોને પોતાના જ ગામમાં બહુ ઓછી કિંમતમાં સ્વચ્છ પીવાનું પાણી મળ્યું છે. લોકોના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આ વોટર એટીએમના પાણીનું દૈનિક જૈવિક પરીક્ષણ થાય છે. તો પાણીની ગુણવત્તા ચકાસવા માટે માસિક અને ત્રિમાસિક પરીક્ષણ પણ હાથ ધરવામાં આવે છે. તેમાંથી નીકળતા દૂષિત પાણીનો પણ અલગથી સંગ્રહ કરીને તેનો ઉપયોગ સફાઈ કે કપડાં ધોવામાં કરવામાં આવે છે.
સ્વચ્છ પીવાનું પાણી એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. વોટર એટીએમ આવ્યા બાદ ગ્રામીણોની આ મૂળભૂત જરૂરિયાત પૂરી થઇ છે અને તેમનું જીવન આરોગ્યપ્રદ બન્યું છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ઝાડા જેવા પાણીજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તબીબી સારવાર અને દવાઓનો ખર્ચ ઘટી જતાં ગ્રામજનોની આર્થિક બચત થઇ રહી છે. તેઓ અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં આ બચતનું રોકાણ કરીને પોતાનું જીવનધોરણ સુધારી શકે છે. ગામના દરેક વ્યક્તિ સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે ઈલેક્ટ્રિક વાહનોની મદદ લેવામાં આવી રહી છે. આ વાહનોની મદદથી વૃદ્ધો, અપંગ અને નબળા વર્ગના લોકોના ઘરે વોટર એટીએમનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આનંદના-કોકા કોલા ઈન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાજીવ ગુપ્તા કહે છે કે અમે માત્ર સમુદાયોની સેવા જ નથી કરતા, પરંતુ તેમના ગુણવત્તાયુક્ત જીવન માટે પણ પ્રતિબદ્ધ છીએ. સુરક્ષિત પીવાનું પાણી સસ્તા દરે પ્રદાન કરીને અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરીને, અમે સકારાત્મક અને કાયમી અસર છોડવામાં સફળ રહ્યા છીએ.
વોટર એટીએમની સાથે જ જળ વ્યવસ્થાપનની દિશામાં પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. દરેક ગામમાં જળ વ્યવસ્થાપન સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ કામગીરી પર દેખરેખ રાખવાની સાથે જળ સાક્ષરતા, માહિતી, શિક્ષણ અને સંચાર જેવી જવાબદારીઓ પણ નિભાવી રહી છે.
ગામડાઓમાં સભાઓ યોજીને પાણી સંરક્ષણ અને વ્યવસ્થાપનનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ દ્વારા સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવામાં આવી રહી છે જેમાં એક ઓપરેટર દરેક ફિલ્ટરેશન પોઈન્ટ પર દૈનિક કામગીરીનું સંચાલન કરે છે. દૈનિક કામગીરીનું સંચાલન કરતી પંચાયતો (ગ્રામ્ય પરિષદો) નફો કમાઈ શકે છે, જેનાથી પ્રોજેક્ટની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત થાય છે.
એસ.એમ. સહેગલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સીઈઓ અંજલિ મખીજા કહે છે કે, “આનંદના સાથેની ભાગીદારીથી અમે જળ સુરક્ષાના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પૈકીના એકને ઉકેલવા માટે કમ્યુનિટી ડેવલપમેન્ટમાં સફળ થયા. સાથે મળીને, અમે ગામડાઓમાં પીવાના પાણીની સુલભતા સુનિશ્ચિત કરવા માટે એક સામુદાયિક-સ્તરની સિસ્ટમ બનાવી છે, જેનો અન્ય વિસ્તારોમાં પણ અમલ થઈ શકે છે.

