અમદાવાદ : શિક્ષણ મંત્રાલયના પોર્ટલ પર ૨૭ જૂન ૨૦૨૪થી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ૨૦૨૪માટે પાત્ર શિક્ષકો પાસેથી http://nationalawardstoteachers.education.gov.in. પર ઓનલાઇન સ્વ-નામાંકન મંગાવવામાં આવી રહ્યા છે. ઓનલાઇન નામાંકન મેળવવાની છેલ્લી તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૪છે. આ વર્ષે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા એટલે કે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ૫૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. આ પુરસ્કાર ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા શિક્ષક દિવસ એટલે કે દર વર્ષે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં કઠોર, પારદર્શી અને ઓનલાઇન પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવેલા દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને તે શિક્ષકોનું સન્માન કરવાનો છે, જેમણે તેમની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગ દ્વારા, શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે, એટલું જ નહીં, પરંતુ તેમણે વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ, સ્થાનિક સંસ્થાઓ અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના બોર્ડ સાથે સંલગ્ન ખાનગી શાળાઓ દ્વારા સંચાલિત માન્યતા પ્રાપ્ત પ્રાથમિક/મધ્યમ/ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શાળાના શિક્ષકો અને શાળાઓના વડાઓ આ પુરસ્કાર માટે પાત્ર છે.
- કેન્દ્ર સરકારની શાળાઓ એટલે કે કેન્દ્રીય વિદ્યાલયો(કેવી), જવાહર નવોદય વિદ્યાલયો (જેએનવી), સંરક્ષણ મંત્રાલય (એમઓડી) દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ, અણુ ઊર્જા શિક્ષણ સોસાયટી (એઇઇએસ) દ્વારા સંચાલિત શાળાઓ અને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ) અને
- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઇ) અને કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ્સ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) સાથે જોડાયેલી શાળાઓ.

